ભાવનગરના આંબલાની ગ્રામદક્ષિણામૂર્તિ શાળામાં વાર્ષિકોત્સવ યોજાયો.
ગોહિલવાડના ગૌરવરૂપ રાષ્ટ્રિય વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે વાર્ષિકોત્સવ યોજાયો હતો. જેમાં શિક્ષણવિદ લેખક ભદ્રાયુ વછરાજાનીએ અહીંની કેળવણી સંદર્ભે વાત કરતા કહ્યું કે, નઈ તાલીમનો મૂળ વિચાર નાનાભાઈ ભટ્ટે આપ્યો હતો, જેને મહાત્મા ગાંધીએ વિસ્તાર્યો હતો.
શિક્ષણવિદ લેખક ભદ્રાયુભાઈ વછરાજાનીએ વાર્ષિકોત્સવ પ્રસંગે ઉદબોધનમાં શિવના દક્ષિણામૂર્તિ સ્વરૂપના તત્વ દર્શન સાથે લોકશિક્ષણ કેળવણી વિશે મનનીય વાતો કરી. તેમણે કહ્યું કે, નઈ તાલીમનો મૂળ વિચાર નાનાભાઈ ભટ્ટે આપ્યો હતો, જેને મહાત્મા ગાંધીએ વિસ્તાર્યો હતો અને રાષ્ટ્ર સમાજ સુધી વ્યાપ થયો હતો, દક્ષિણામૂર્તિદેવના ત્રણ સ્વરૂપ વિષે જણાવતા સજગ, સમજ અને જ્ઞાન અંગે વિગતે ચિંતન રજૂ કર્યું હતું, જેની સાથે માહિતી તથા જ્ઞાન વચ્ચેનો ભેદ જણાવ્યો. તેઓએ વધુમાં ગાંધીજીની આત્મકથાના ઉલ્લેખ સાથે પ્રાસંગિક વાત કરી હતી.
ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણારના સંયુક્ત વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્થાના દિવંગત નટવરલાલ બૂચ 'બૂચદાદા'ની આજે પૂણ્યતિથિ હોઈ તેના સ્મરણ શ્રદ્ધાંજલિ સાથે અહી મહાનુભાવોના હસ્તે પ્રારંભે દીપ પ્રાગટ્ય કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રશાંતભાઈ ભટ્ટે નવી શિક્ષણનીતિમાં આ સંસ્થાના મૂલ્યોનો સમાવેશ થયાનો હરખ વ્યક્ત કરી 85 વર્ષ પૂરા કરતી આ વિરાસત શાળાનું કામ થયું, ઊગ્યું અને સમાજમાં વિસ્તર્યું હોવાનું જણાવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો